"સમરસતાથી જ સમાજ શક્તિશાળી બનશે"
ગુજરાતમાં ચાલતા અનામત આંદોલન બાબતે
રા.સ્વ. સંઘના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ
ડૉ. મનમોહન વૈદ્ય સાથે વાર્તાલાપ
- કિશોર મકવાણા તથા શિરિષ કાશીકર
ડૉ. મનમોહન વૈદ્ય |
* લોકતંત્રમાં કોઈને પણ પોતાની વાત રજૂ કરવાની કે માગણી કરવાની સ્વતંત્રતા છે, એમાં કોઈ બેમત નથી. પરંતુ કોઇપણ આંદોલન કે વાત સમાજને તોડનારું કે દેશને નુકસાન કરનારું ન હોઈ શકે.
* મા.ગો. વૈદ્ય સંઘના પદાધિકારી નથી, એ એમના પોતાના વિચારો છે. સંઘને એમના વિચારો સાથે જોડીને કોઇ મનઘડંત અહેવાલ છાપવો યોગ્ય નથી.
* સંઘના સરસંઘચાલક માનનીય મોહનજી ભાગવતે પણ કહ્યું છે કે, "જે લોકો સામાજિક ભેદભાવનો ભોગ બન્યા છે, એ જ્યાં સુધી બાકીના સમાજની હરોળમાં ન આવે ત્યાં સુધી અનામત વ્યવસ્થા ચાલુ રહેવી જોઈએ.
* આર્થિક રીતે પછાત છે એવા બધા જ વર્ગના લોકો માટે કોઈ યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ. પરંતુ સમગ્ર સમાજમાં આત્મસન્માનનો ભાવ વધવો જોઈએ, કે જેથી આવી કોઈ વ્યવસ્થાની જરૂરિયાત જ ન રહે.
* બિનરાજકીય સમાજ ચિંતકો અને વિશેષજ્ઞોની એક સમિતિ બનાવવી જોઈએ. આ સમિતિ દ્વારા સંપૂર્ણ ચિત્ર સમાજ સામે મૂકવું જોઈએ. એના દ્વારા જે અહેવાલ રજુ થાય એ સૌએ સ્વીકારવો જોઈએ.
1) ગુજરાતમાં ચાલી રહેલા અનામતની માંગણીના આંદોલનને
સંઘ કયા દૃષ્ટિકોણથી જુએ છે ?
લોકતંત્રમાં કોઈને પણ પોતાની વાત રજૂ કરવાની કે માગણી કરવાની સ્વતંત્રતા છે, એમાં કોઈ બેમત નથી. પરંતુ કોઇપણ આંદોલન કે વાત સમાજને તોડનારું કે દેશને નુકસાન કરનારું ન હોઈ શકે. અત્યારનું આંદોલન ચાલે છે એમાં સમાજમાં ભાગલા પાડનારા અને અરાજક્તા નિર્માણ કરનારા તત્ત્વો ભળી ન જાય એની કાળજી રાખવી જોઈએ. કારણ હાર્દિક પટેલે મહારેલીમાં ઉચ્ચારેલા શબ્દો : ‘હિન્દુસ્થાન કો અપની ઓકાત દિખા દેંગે...’ અને ‘રાવણ કી લંકા જલા દેંગે...’ આવી ભાષાથી કોઈપણ દેશભક્તોને ચિંતા થાય છે. આવું આંદોલન સમાજ માટે ઘાતક બની શકે છે.2) અનામત વ્યવસ્થા બાબતે સંઘ શું માને છે ? સમાજના કેટલાક સમુદાય જાતિ આધારિત અનામત સામે અણગમો વ્યક્ત કરી તેને રદ કરવાની માંગણી કરે છે, આ સંદર્ભે સંઘનું શું વલણ છે ?
ભારતમાં કોઇક કારણસર અસ્પૃશ્યતાની વિકૃતિ પ્રવેશી. આપણા જ એક વર્ગના લોકોને અન્યાયપૂર્વક, અપમાનિત રીતે અનેક સામાજિક સુવિધાઓ અને સન્માનથી વંચિત રાખવામાં આવ્યા. સામાજિક ભેદભાવ અને અસ્પૃશ્યતા આપણા સમાજની વિષમતાનું એક અત્યંત દુ:ખદ અને દુર્ભાગ્યજનક પાસુ છે. આવા આપણા બાંધવોને સમાજના અન્ય વર્ગની સાથે લાવવા માટે આપણા બંધારણ નિર્માતાઓએ અનામતની વિશેષ વ્યવસ્થા કરી છે. આ વ્યવસ્થા સાથે સંઘ સંપૂર્ણપણે સહમત છે અને સમાજમાં જ્યાં સુધી સામાજિક વિષમતા અને અસ્પૃશ્યતા હયાત છે ત્યાં સુધી એસ.સી., એસ.ટી. માટેની અનામત વ્યવસ્થા ચાલુ રહેવી જોઈએ, જે દિવસે સમાજમાંથી સામાજિક અસમાનતા અને આભડછેટ નાબૂદ થશે સમાજમાં સમાનતા-સમરસતાનું વાતાવરણ નિર્માણ થશે ત્યારે અનામતની જરૂરિયાત જ નહીં રહે. ડૉ. બાબાસાહેબ આંબેડકર જેમણે પોતે પણ આવી સામાજિક વિષમતા અને અન્યાયની વેદના અનુભવી હતી એ પણ માનતા હતા કે અનામત વ્યવસ્થા કાયમ રાખવી યોગ્ય નથી. અનામતની જરૂર જ ન રહે એવી સ્થિતિ સમાજમાં નિર્માણ થવી જોઈએ. સંઘના સરસંઘચાલક માનનીય મોહનજી ભાગવતે પણ કહ્યું છે કે "જે લોકો સામાજિક ભેદભાવનો ભોગ બન્યા છે, એ જ્યાં સુધી બાકીના સમાજની હરોળમાં ન આવે ત્યાં સુધી અનામત વ્યવસ્થા ચાલુ રહેવી જોઈએ. હવે હિન્દુ સમાજની જવાબદારી છે કે અસમાનતા દૂર કરી સમાજમાં સમતા-સમરસતા પ્રસ્થાપિત કરે. અનામતની જરૂરિયાત નહીં રહે, એટલે સૌ પહેલા સામાજિક વિષમતા દૂર કરવાના પ્રયત્નો કરવા જોઈએ.દુર્ભાગ્યે આ વિષયની રાજનીતિ શરૂ થઇ ગઇ અને જાતિ વ્યવસ્થાને વોટબેંક તરીકે જોવાની વૃત્તિ વધી રહી છે એટલે અનામત વ્યવસ્થામાં નવા-નવા સમાજના સંપન્ન વર્ગને પણ અનામત આપવાની કે માગવાની માંગણી જોર પકડી રહી છે. રાજનીતિથી પ્રેરિત નેતાઓ વોટબેંકની લાલચના કારણે આવી માગણીને વશ થઈ રહ્યા છે. વાસ્તવમાં અનામત વ્યવસ્થાનો લાભ જેમને મળે છે, એમની સમગ્ર સ્થિતિનો અભ્યાસ થાય એ માટે બિનરાજકીય સમાજ ચિંતકો અને વિશેષજ્ઞોની એક સમિતિ બનાવવી જોઈએ. આ સમિતિ દ્વારા સંપૂર્ણ ચિત્ર સમાજ સામે મૂકવું જોઈએ. આ સમિતિને બધા જ અધિકારો આપવા જોઈએ. એના દ્વારા જે અહેવાલ રજુ થાય એ સૌએ સ્વીકારવો જોઈએ.
No comments:
Post a Comment